22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર,
અંબાજીના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

નવરાત્રીમાં અંબાજી દર્શને જતા દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામા આવેલા અંબાજી માતાના મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોની સગવડતાને ધ્યાનમાં રાખીને મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે.
અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. લોકોને દર્શન કરવામાં સરળતા રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમથી આઠમ સુધી માતાજીના દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તો નવારાત્રી દરમિયાન ભક્તો સવારના 08.00 વાગ્યાથી રાત્રીના 09.00 વાગ્યા સુધી દર્શન કરી શકશે. સાથે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. ચૈત્ર સુદ એકમને 22 માર્ચે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપન કરાશે.
એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30નો રહેશે. એકમના દિવસે ભક્તો માતજીના દર્શન સવારે 8:00થી 11:30 સુધી કરી શકશે. જે બાદ બપોરે 12:00 કલાકે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ભક્તો માં અંબાના બપોરે 12:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી કરી શકશે. જે બાદ સાંજે 7:00 કલાકે માતાજીની આરતી થશે. ભક્તો રાત્રીના 09:00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.