આ તારીખ થી ગુજરાત માં થઇ શકે છે વરસાદનું આગમન, દરિયા બનશે તોફાની, ચક્રવાત લાવશે વરસાદ: જાણો અંબાલાલની આગાહી
આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી: દરિયો બનશે તોફાની, ચક્રવાત લાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહી

ગુજરાતમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો તેમણે રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી પણ કરી છે.
- વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
- રાજ્યના અમુક ભાગમાં 4 જૂન સુધી વરસાદની આગાહી
- ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થઈ રહી છે. આ વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
8 જૂન સુધી રહેશે રોહિણી નક્ષત્ર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલે છે, 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે.
4 જૂન સુધી વરસાદની આગાહી
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કેટલાક ભાગમાં 4 જૂન સુધી વરસાદની આગાહી છે. તો 3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દરિયા કિનારે ફૂંકાશે ભારે પવન
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાશે. કેરળના દરિયા કિનારે 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
કેરળમાં મોડુ પહોંચી શકે છે ચોમાસું
તેમણે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. વાવાઝોડાના લીધે ભેજ ખેંચાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે નહીં. કેરળના દરિયા કિનારે ચોમાસું થોડું મોડુ પહોંચી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
ગઈકાલે હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી છે. જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ ગરમી અનુભવાશે. રાજ્યમાં 40 ડિગ્રી આસપાસ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.